Holika Dahan

                                                                                 Home

www.shrikrishnashram.org

હોલિકા દહન - ફાગણ સુદ પૂર્ણિમા:

 

ભારતીય સનાતન પરંપરાઓમાં ઘણા તહેવારો અને ઉત્સવો છે, દરેક તહેવારનું સ્વતંત્ર વૈશિષ્ટ્ય છે સૃષ્ટિ માટે તેમાંથી કંઇકને કંઇક સંદેશ પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ उत्सवप्रिया: खलु मानुषा: મનુષ્યોને ઉત્સવો પ્રિય હોય છે. તેનાથી બધા ભેગા થાય છે અને વિચારોનું આદાનપ્રદાન થાય છે. वसुधैवकुटुंबकम्ની ભાવનાના મૂળ તહેવારોમાં પણ સમાયેલા છે.

હોલિકાદહન મનુષ્યો માટે સૌથી આદર્શ તહેવાર છે. ચૈત્રાદિ વર્ષની બધી પૂર્ણિમાઓ ગઇ અને આ અંતિમ પૂર્ણિમા આવી છે. નવા વર્ષની શરૂઆત પવિત્ર શારદિય નવરાત્રથી થવાની છે, ત્યારે આપણા મનને સ્વચ્છ અને પવિત્ર બનાવવાનો અને આત્માગ્નિથી રાક્ષસીવૃત્તિઓ અને કામદિ દોષોનુ દહન કરવાનુ છે. शिव संकल्पमस्तु ભૂતકાળની ભૂલોને-દોષોને બાળી પ્રાયશ્ચિત્ત કરવાનુ છે અને નવા કલ્યાણકારી સંકલ્પો કરવાના છે. વેદો કહે છે કે, अग्ने नय सुपथा – હે અગ્નિ! અમને સન્માર્ગ પર લઇ જાઓ.

પૌરાણિક કથા અનુસાર હોલિકા એ હિરણ્યકશિપુ નામના દૈત્યરાજની બહેન છે. તેણે ઘણુ તપ કરી બ્રહ્માજી પાસેથી એવુ વરદાન પ્રાપ્ત કર્યુ કે અગ્નિ તેનો દાહ ન કરી શકે. પ્રહ્લાદજી કે જે હિરણ્યકશિપુના પુત્ર છે તે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે નારદજી દ્વારા ભક્તિમાર્ગ પર વળેલા. પરિણામે દૈત્યકુલમાં પણ ભગવાન વિષ્ણુના પરમ ભક્તનો જન્મ થયો. દૈત્યરાજ ભગવાનને પોતાનો શત્રુ માને છે, પ્રહ્લાદજીની ભક્તિ તેને ગમતી નથી. તેનો નાશ કરવા માટે દૈત્યરાજની બહેન હોલિકા, પ્રહ્લાદજીને પોતાના ખોળામાં બેસાડી ચિતામાં ભસ્મ કરવાનો પ્રયત્ન કરે છે. દૈત્યવૃત્તિતો જીવનભર હતી જ પરંતુ હવે તેના પાપનો ઘડો ભરાયો, તેનો આશય ખોટો હતો, વિધિના વિધાનની વિરૂદ્ધનો હતો માટે સ્વયં તેનો જ નાશ થયો.

હોલિકાદહન એ પ્રતિક છે ભારતીય આદર્શો, મૂલ્યો અને સિદ્ધાન્તોનું, અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયનું. सत्यमेव जयते આ તહેવારથી મનુષ્યોને અનેક સંદેશ પ્રાપ્ત થાય છે.

વિધિનુ વિધાન એટલે સનાતન ધર્મ. સનાતનધર્મ એ છે, કે જે ભગવાન દ્વારા રચાયેલો છે, કહેવાયેલો છે. ભગવદ્ગીતા કે જે સંપૂર્ણ વેદોનો સાર છે તેમાં ભગવાન પ્રતિજ્ઞા કરે છે કે, જે મારી ભક્તિ કરે છે તેનુ હું રક્ષણ કરૂ છું, કલ્યાણ કરૂ છુ. પુરાણોમાં બે વચન કહેલા છે, परोपकाराय पुण्याय पापाय परपीडनम्| પરોપકાર પુણ્ય છે અને બીજાને પીડા આપવી તે પાપ છે. રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે કે, कर्ममूल जगत रचि राखा जस करहि तस फल चाखा| જે જેવુ કર્મ કરશે તે તેવુ ફલ પામશે, તે કર્મ આ જન્મનુ હોય કે પછી જન્માન્તરોનું હોય. પુણ્યકર્મને ઇશ્વરાર્પિત કરી કર્મબંધનથી મુક્ત થઇ શકાય છે પરંતુ પાપકર્મનું ફલ ભોગવવુ જ પડે. પાપકર્મ-અધર્મનું ફલ મનુસ્મૃતિમાં લખ્યું છે -  नाधर्मश्चरितो लोके सद्य: फलति गौरिव| शनैरावर्तमानस्तु कर्तुर्मूलानि कृन्तति|| કરેલો અધર્મ ભૂમિ કે ગાયની જેમ તત્કાલ ફલ નથી આપતો, પરંતુ ધીરે ધીરે ફલોન્મુખ થતા, તે (અધર્મ) કર્તાના મૂળને જ કાપી નાખે છે, અર્થાત્ ભૂમિમાં કંઇક પાક કરો, વૃક્ષ વાવો તો ૨-૩ મહિના કે વધુમાં વધુ ૪-૫ કે ૨૦ વર્ષમાં તેનુ ફલ મળી જાય છે. ગાય રોજ રોજ ભોજન કરે તો રોજ રોજ દૂધ આપ્યા કરે છે તેનુ ફલ પણ તત્કાળ છે. પરંતુ સૃષ્ટિમાં અધર્મના આચરણરૂપી કર્મોને જે વાવે છે, તેના કર્મો જ્યારે પાકે છે, ત્યારે તેના ધન, દેહ આદિનો નાશ કરે છે, તેનો સમૂળ વિનાશ થાય છે.

હોલિકા દહનએ ભારતીય સનાતન પરંપરાનો સૌથી મોટો જે સિદ્ધાંત છે તેનુ જ્ઞાન કરાવે છે. ભગવાન કણ-કણમાં છે. ગીતામાં ભગવાન કહે છે કે यो यो यां यां तनुं भक्त: श्रद्धयार्चितुमिच्छति तस्यतस्याचलांश्रद्धां तामैव विदधाम्यहम्| જે જે જેમાં જેમાં શ્રદ્ધાપૂર્વક મને જુવે છે, તેની શ્રદ્ધાને અચળ કરવા માટે હું તેમાં આવુ છુ. આમ સ્વયં ભગવાન પણ શ્રદ્ધાથી બંધાયેલા છે. તેનુ પ્રમાણ-ઉદાહરણ એ છે કે જ્યારે હિરણ્યકશિપુએ પ્રહ્લાદને પુછ્યુ કે, શું આ થાંભલામાં પણ તારો ભગવાન છે? તો પ્રહ્લાદજી કહે છે કે હા! મને થાંભલામાં પણ તેમના દર્શન થાય છે. ત્યારે હિરણ્યકશિપુ થાંભલાને તોડી નાખે છે અને પ્રહ્લાદજીની શ્રદ્ધાને અચળ કરવા માટે અને સંપૂર્ણ સંસારને વિશ્વાસ અપાવવા માટે સ્વયં નારાયણ, નૃસિંહ સ્વરૂપ ધારણ કરીને સ્તંભમાંથી પ્રગટ થાય છે અને દૈત્યવૃત્તિનો સંહાર કરે છે.

        દૈત્યરાજે રાક્ષસીવૃત્તિઓનો વિજય થાય તે માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, તેના ભાગરૂપે સભાની વચમાં હોલિકાની ચિતાને સ્થાપી હતી કે જેથી લોકોમાં ભય પેદા થાય, લોકોને સ્મરણ રહે કે જે રાક્ષસોની વિરૂદ્ધ છે તેને બાળવામાં આવશે. પરંતુ ભગવાને લીલા કરી, અને આજે પણ આ જ ઘટના લોકોને સ્મરણ કરાવે છે કે ભગવાન સર્વત્ર અને સદાકાળથી છે. શ્રીમદ્ભાગવતમાં શુકદેવજી કહે છે કે, एतावान् सांख्ययोगाभ्यां स्वधर्मपरिनिष्ठया| जन्मलाभ: पर: पुंसामन्ते नारायणस्मृति:|| મનુષ્ય જન્મનો એ જ લાભ છે કે, જ્ઞાનથી, ભક્તિથી કે પોતાના ધર્મની નિષ્ઠાથી જીવનને એવુ બનાવી શકાય છે કે જેનાથી મૃત્યુના સમયે ભગવાનની સ્મૃતિ અવશ્ય બનેલી રહે. જેનાથી આત્માને ભગવાનનુ સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે. સ્મશાનો ગામના છેવાડે હોય છે, આપણે પણ એક દિવસ ભસ્મીભૂત થવાના છીએ તેમ સ્મૃતિ કરાવે છે. પરંતુ હોલિકા દહન ગામની વચ્ચે થાય છે અને જે લોકોને સ્મૃતિ અપાવે છે કે, ભગવાન સર્વત્ર છે, સર્વવ્યાપી છે, ભક્તોનુ રક્ષણ કરે છે, સત્યનો હંમેશા જય થાય છે, तमसो मा ज्योतिर्गमय: અધકારથી પ્રકાશ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ ગતિ કરવાની છે. મહાભારતમાં યક્ષ પ્રશ્ન કરે છે કે, સંસારનું સૌથી મોટુ આશ્ચર્ય શું છે? યુધિષ્ઠીર જવાબ આપે છે કે, સૌનુ મૃત્યુ નિશ્ચિત છે છતાંય લોકો જાણે અમર હોય તેવી રીતે આચરણ કરે છે, તે જ સૌથી મોટુ આશ્ચર્ય છે. સંસાર સમુદ્રમાં આ જીવનરૂપી પરપોટો ક્યારે ફુટી જશે તે ખબર નથી છતાં ભગવાનને કાલે ભજીશું આજે મોજ-મઝા કરી લો, પહેલા પોતે ભેગુ કરી લો પછી લોકો માટે વાપરીશુ આ જે વિચારધારા છે, તે ખોટી છે. સ્કંદપુરાણમાં સત્યનારાયણની કથામાં આવે છે કે આ લોકમાં સુખ ભોગવી અંતે સત્યપુર-ભગવાનના ધામમાં ગયો. આમ, ભારતીય સંસ્કૃતિમાં સુખ ભોગવવાની ના ક્યાંય નથી પાડી, આપણો ધર્મ તો ભુક્તિ અને મુક્તિ એમ બન્ને આપવાવાળો છે. અનેક કર્મો કરતો મનુષ્ય જ્યારે હોલિકા દહન થતુ જુવે છે ત્યારે તેને સ્મૃતિ થાય છે કે મારે પણ પ્રહ્લાદજીની જેમ ભક્તિ કરવાની છે. મારા કર્મને જ પૂજા ગણવાની છે. પરમારત્માની પૂજા જેમ સહૃદય અને વિશ્વાસ-નિષ્ઠાથી કરવાની હોય છે તેમ મારે મારૂ રોજિંદુ કર્મ - ધંધો, નોકરી, વ્યવસાય કે સેવાકાર્ય પણ નિષ્ઠાથી કરવાનુ છે.

        આ કળયુગની વિડંબના જ છે કે તહેવારોના મૂળ આશયોને સમજવા જે પ્રયત્નો થવા જોઇએ તે થતા નથી. વાસ્તવમાં જેમ અગ્નિહોત્રકર્મમાં થાય છે તે રીતે, હોલિકાદહનમાં પણ સૂકા યજ્ઞીય કાષ્ઠ(લાકડા)નો, ગાયના ગોબરનો, ઘી નો ઉપયોગ થવો જોઇએ. કે જેના પવિત્ર ધુમ્રથી વાતાવરણમાંથી અપવિત્રતા-રોગોનાં જંતુઓનો નાશ થાય. તેની જગ્યાએ રબરના ટાયરો અને કેરોસીન અને પેટ્રોલના ભડકામાત્ર કરવામાં આવે છે. જે પ્રદુષણ ફેલાવે છે. આ ગ્લોબલ વોર્મિંગમાં આપણી પરંપરાઓ નિમિત્ત બને છે, જે સદંતર બંધ થવુ જોઇએ તેની શરૂઆત આપણે જ કરવાની છે. જે રીતે ગણપતિ વિસર્જનમાં ગણપતિની માટીની મૂર્તિનો ઉપયોગ કરવાનુ આપણે સ્વીકાર્યુ છે તે જ રીતે હોલિકા દહન પણ સૃષ્ટિને લાભ થાય તેની વ્યવસ્થા આપણે કરવાની છે. લોકો દર્શન તો કરી શકે પરંતુ તમને નડે નહિ તેવા સ્થાન પર હોલિકા દહન કરવું જોઇએ. ધર્મસિન્ધુમાં હોલિકાદહનની વિધિ દર્શાવેલી છે તો જ્યાં જ્યાં હોલિકા દહન થતુ હોય ત્યાં ત્યાં વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી મંત્ર-વિધિપૂર્વક હોલિકાદહન કરવામાં આવે તો તે સાચી પદ્ધતિ છે.

                                                                             Home

                                                                www.shrikrishnashram.org